જીવન મૃત્યુ ( ભાગ 2)
જીવનભર હર્ષાબેહેને સેવાના અનેક કાર્યો કર્યા હતા પરંતુ, એના ફળ માટે તેમણે ક્યારેય આશા નહોતી રાખી. લોકો સામેથી તેમનો આભાર માનીને કહેતા," કોઈ કામ હોય તો કહેજો!" તેઓ હસીને કહેતા," જરૂર કહીશ!" છતાંય તેમણે કયારેય એ વ્યક્તિનો સંપર્ક પોતના અંગત ફાયદા માટે નહોતો કર્યો પરંતુ, જ્યારે બીજાને જરૂર પડતી ત્યારે તરત જ તેમનો સંપર્ક કરી લેતાં. એમના પરિવારના બધા તેમને માનથી જોતાં. આખા કુટુંબને તેમણે એક તાંતણે જોડીને રાખ્યું હતું. માત્ર એમની સુઝબુઝ ને લીધે પરિવારના તૂટેલા સંબંધો પણ ફરી જોડાઈ ગયા હતા. તેમની પરોપકારની ભાવનાને લીધે એક નવો પરિવાર પણ બન્યો હતો. જેમની સાથે લોહીના કે મિત્રતાના નહીં બલ્કે માણસાઈના સંબંધો બન્યા હતા! એ બધાના આશિષ કહો કે ઇશ્વરની કૃપા કહો, સિતેર વર્ષની વય સુધી એમણે કયારેય હોસ્પિટલનો ખાટલો જોયો નહોતો. હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવ્યા હતા. એ ઉંમરે પણ યુવાન વ્યક્તિને શરમાવી દેતાં. નાની મોટી બીમારીમાં દવાઓ કયારેય ન લેતાં. બને ત્યાં સુધી ઘરગથ્થુ ઉપાયો કરી લેતાં. કયારેક દીકરાની જીદ સામે નમતું જોખીને ડોક્ટરની દવાનો એકાદ ભાગ લઈ લેતા.
એ દિવસે સવારે નિત્યક્રમ મુજબ મંદિર જઈને ઘરે આવીને ઘરકામ પતાવીને તેમણે બપોરેનું ભોજન લીધું. પછી આડે પડખે થયા. રોજ બપોરની ચા તેઓ હાથે જ બનાવતા. એ દિવસે સૂતેલી વહુને જગાડીને કહ્યું " જરીક જીવ ડોવાય છે, ચા બનાવી આપ ને!" ચા પીને પોતાનો કપ પણ ધોઈને મૂકી દીધો. વહુએ ડોક્ટરને ફોન જોડીને બધી વાત કરી અને ઘરે બોલાવી લીધા. બહાર આવીને જોયું તો પોતાના ઈષ્ટદેવની છબીની નીચે હર્ષાબહેન ચિર નિંદ્રામાં પોઢી ગયા હતા. ડૉકટરે આવીને તેમને મૃત જાહેર કર્યા!
ન કોઈ ઉફફ! ન કોઈ દર્દ! ન કોઈ ચીસ! બાજુના રૂમમાં ફોન પર વાત કરતી વહુને એમનો અવાજ પણ ન સંભળાયો. મૃત્યુ ભયંકર પીડાઓ આપે છે! એવું સાંભળ્યું હતું પરંતુ, આવું પીડા વિહીન મૃત્યુ કોઈ નસીબદાર ને જ મળે! આ તેમણે જીવનભર કરેલા સારા કર્મોનું ફળ હતું. તેઓ જીવન એવું જીવ્યા કે મૃત્યુ સુધરી ગયું!! એમના અંતિમ સંસ્કારમાં આવેલા કોઈને ઘરે જવાની ઉતાવળ નહોતી. બધા તેમના અંતિમ દર્શને થાય ત્યાં સુધી કરી લેવા માંગતા હતાં. એમની વિદાય ના અનેક દિવસો સુધી તેઓ તેમની યાદમાં આંસુ સારતા હતા. દરેક જણ કહેતા હતા," તેઓ જીવન જીવી ગયા સાથે મૃત્યુની શોભા વધારતાં ગયા!" જેઓને તેમણે મદદ કરી હતી તેઓની આંખો ભીની બની હતી. બધાએ તેમને દર્દ ભરી વિદાય આપી હતી!!
તેમના સારા કાર્યોની સુવાસ તેમના મૃત્યુના વર્ષો બાદ પણ હજીયે અનેક દિલોમાં જીવંત છે. એમના ચક્ષુદાનથી આજે બે હસતી આંખો દુનિયાને જોઈ રહી છે. તેમણે જીવનમાં જેઓની મદદ કરી હતી, તેઓ આજે પણ તેમના પરિવારની પડખે ઉભા છે!
કહેવાય છે કે સંબંધીઓ ચિતાની રાખ પણ ન ઠરે એ પહેલા ઘરે ભાગી જાય છે પરંતુ, એમના સગાં સંબંધીઓ આજ સુધી દરેક સારા માઠે પ્રસંગે એમની ગેરહાજરીની નોંધ લે છે! એમને યાદ કરીને હજીયે બે આંસુ સારી લે છે!! એમના પરિવારના લોકોને હજીયે અનેક અજાણ્યા લોકો આવીને કહે છે," હર્ષાબહેને અમારી મદદ કરેલી અમે તેમના ઋણી છીએ! તમારી કોઈ મદદ કરીને અમે એ ઋણ ઉતારી શકીએ તો જરૂર જણાવશો!"
એમના જીવન પુષ્પની સુવાસ એમનો પરિવાર હજીયે માણી રહ્યો છે. પરિવારના લોકો પોતાના જીવનમાં ગૂંથાઈ તો ગયા છે પણ તેમની મીઠી યાદ તેમના દિલોમાં હજીયે જીવંત છે! તેમણે શરુ કરેલા સેવાના કાર્યોને તેમનો પરિવાર આગળ વધારવાની કોશિશ કરી રહ્યો છે!!
શું આવા જીવનને મૃત્યુનો કોઈ ભય ખરો! મૃત્યુનો ભય તો અને લાગે જે જીવનભર પોતાના સ્વાર્થ ખાતર જીવ્યો હોય! એને બધા ભૂલી જાય, જે બીજા માટે કયારેય ઘસાયો ન હોય! બાકી આવું જીવન તો મરણ પછી પણ જીવંત રહે છે.. ખરું ને!!
વાચક મિત્રો, આપણે હર્ષાબહેનના જીવન પરથી પ્રેરણા લઈને બીજાની પરવા કરતાં શીખીએ. જીવન સફરમાં એકબીજાનો સાથ કદી ન છોડીએ બલ્કે રસ્તે મળતાં વટેમાર્ગુઓની સાથે નવા સંબંધો સ્થાપતા જઇએ! મૃત્યુ પછીના જીવનની પરવા કર્યા વિના જીવન છે ત્યાં સુધી હળીમળીને એક્બીજાની સાથે જીવી લઈએ. પ્રેમ ,લાગણી, મિત્રતા, આશીર્વાદ જેટલું મળે એટલું લૂંટી લઈએ!! મૃત્યુની પરવા કર્યા વિના જીવનને એવી રીતે જીવી લઈએ કે મરણ બાદ પણ લોકો કહે," મૃત્યુ મરી ગયું અને જીવન ધબકતું રહ્યું!" ખરું.. ને!!
આવા નકારાત્મક વિડિઓ જોઈને જીવનને ખોટી દિશા તરફ ન લઈ જવા વિનંતી!!🙏
આ એક સંપૂર્ણ સત્ય જીવન ગાથા છે. માત્ર હર્ષાબહેનનું નામ બદલ્યું છે. એ વિરલ વ્યક્તિના ચરણોમાં મારી શ્રદ્ધાના શબ્દ સુમન સમર્પિત છે!! ઈશ્વર તેમના આત્માને ચિર શાંતિ આપે એવી પ્રાર્થના
મુટ્ઠી unchera માનવી 🙏
જવાબ આપોકાઢી નાખોસાચે જ!... આભાર
કાઢી નાખો